ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા માલધારીઓ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.પાટણના સરહદી વિસ્તારના માલધારીઓ પોતાના પશુધનને લઈને વવ-થરાદ જિલ્લાના દિયોદરમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યા છે.પરંતુ ઘાસચારાની કટોકટી એટલી વિકટ બની છે કે વરસાદ ન પડવાથી સીમાડામાં ઘાસ ઊગ્યું જ નથી.જેથી દૂધાળા પશુઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.પાણીની અછત પણ વધી છે.તળાવો ખાલી હોવાથી પશુઓને બચાવવા માલધારીઓ પોતાના સામાન અને ગાયો-ભેંસોને લઈને સ્થળાંતર કરી રહ્યા છે.


પશુઓના ઘાસચારા પાછળ થતો વધારાનો ખર્ચ 

માલધારીઓની એક જ આશા છે કે જલ્દી સારો વરસાદ પડે જેથી તેઓ પોતાના વતન પરત ફરી શકે.આ સ્થળાંતર માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ માલધારી પરિવારો માટે પણ આર્થિક સંકટ બનીને આવ્યું છે.પશુઓના ઘાસચારા પાછળ થતો વધારાનો ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલો નોંધપાત્ર ઘટાડો માલધારીઓની કમર તોડી રહ્યો છે.કમાણીનું મુખ્ય સાધન એવા પશુધનનું સ્વાસ્થ્ય જોખમાતા અને તેમને પૂરતો ખોરાક ન મળતા માલધારીઓ પોતાના પશુઓને સસ્તા ભાવે વેચવા કે અન્યત્ર મોકલવા મજબૂર બન્યા છે, જે તેમના માટે માનસિક અને આર્થિક રીતે અત્યંત વેદનાદાયક સ્થિતિ છે.

પશુઓના પીવાના પાણીની સમસ્યા વિકટ 

સ્થાનિક વહીવટી તંત્ર સામે પણ હવે માલધારીઓની મદદ કરવા માટેનું દબાણ વધી રહ્યું છે.પશુપાલકોની માંગ છે કે સરકારે તાત્કાલિક અસરથી ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. પશુઓ માટે સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ.જ્યારે પશુઓના પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પુરવઠો પહોંચાડવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.જો સમયસર સહાય નહીં મળે તો, માત્ર પાક જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતનું અમૂલ્ય પશુધન પણ ગંભીર જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચોઃ Valsad News: પોલીસે એક્ટિવાની ડિક્કીમાંથી પકડેલા મુદ્દામાલમાંથી વ્હિસ્કીની મોંઘી બોટલો ગાયબ


  • Follow us on: