બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, દિયોદર અને લાખણી પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. માત્ર 24 કલાકના ગાળામાં 3 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતોએ જે પાકને તૈયાર કરીને લણણીની તૈયારી કરી હતી, તે અચાનક આવેલી આ આફતમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વરસાદને કારણે મુખ્યત્વે મગફળી અને જુવાર જેવા મહત્વના પાકોને જંગી નુકસાન થયું છે, જે ખેડૂતો માટે બેવડો ફટકો છે. આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે.
લાખણીના પેપળુ ગામે સૌથી વધુ નુકસાન
આ કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં લાખણી તાલુકાનું પેપળુ ગામ શામેલ છે. અહીં મગફળીનો પાક લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હોવાના અહેવાલો છે. પાણી ભરાઈ જવાને કારણે જમીનમાંથી કાઢવામાં આવેલી મગફળી પણ પલળી ગઈ છે અને હવે તે બજારમાં વેચી શકાય તેવી સ્થિતિમાં નથી. તૈયાર પાક નષ્ટ થતાં ખેડૂતો માથે દેવું વધી ગયું છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતા તેઓ ભારે દુઃખી અને ચિંતામાં મુકાયા છે.













