બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના દિયોદરમાં યોજાયેલું ઠાકોર સમાજનું સ્નેહમિલન માત્ર સામાજિક મેળાવડો જ નહોતું, પરંતુ સમાજની રાજકીય એકતા દર્શાવવાનો એક સશક્ત પ્રયાસ પણ હતો. આ કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ઠાકોર સમાજના તમામ અગ્રણી નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી મુખ્ય હતી. પ્રદેશભરના ઠાકોર સમાજના આગેવાનોએ એકસાથે આવવાની આ ઘટનાએ આગામી સમયમાં રાજકીય સમીકરણો પર અસર કરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ એકતાએ સમાજનું મહત્ત્વ અને સંગઠિત શક્તિ પ્રદર્શન કર્યું હતું.
સાંસદ ગેનીબેન ઠાકોરની વ્યસનમુક્તિની અપીલ
આ સ્નેહમિલનમાં રાજકીય વાતોની સાથે સાથે સમાજ સુધારણાના મુદ્દા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને વ્યસનોથી દૂર રહેવા માટે ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જો ઠાકોર સમાજ દારૂ બંધ કરી દે, તો વકીલ અને પોલીસના ધંધા આપોઆપ બંધ થઈ જાય." તેમના આ નિવેદન દ્વારા તેમણે સમાજમાં ફેલાયેલા દારૂના દુષણ તરફ ધ્યાન દોર્યું હતું અને વ્યસનને કારણે થતી કૌટુંબિક અને કાનૂની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સમાજના ઉત્કર્ષ માટે વ્યસનમુક્તિ જરૂરી છે તેવો મજબૂત સંદેશ તેમણે આપ્યો હતો.













