બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મેળાના સાતમા દિવસે પણ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જ 4,24,354 શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. મેળાના પ્રારંભથી અત્યાર સુધીમાં, કુલ સાત દિવસમાં, 40,41,306 ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી છે. 'બોલ મારી અંબે, જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર મંદિર અને આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે, જેના કારણે ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.
ભક્તોને સુવિધા પૂરી પાડવા સેવાઓનો સારો ઉપયોગ
મેળામાં આવતા ભક્તોની સુવિધા માટે વિવિધ સેવાઓ કાર્યરત છે. અત્યાર સુધીમાં 5,92,420 યાત્રિકોએ બસમાં મુસાફરી કરી છે, જે માટે કુલ 13,525 ટ્રિપો કરવામાં આવી છે. આ ઉપરાંત, 58,118 ભક્તોએ ઉડનખટોલા (રોપ-વે) નો લાભ લીધો છે. યાત્રાળુઓને ભોજન અને પ્રસાદ વિતરણ પણ મોટા પાયે કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4,69,411 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે, જ્યારે 23,20,802 પ્રસાદ પેકેટ્સ અને 35,811 ચીકી પ્રસાદ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.













