ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને પ્રખ્યાત દોડવીર બાલકૃષ્ણ પરમારે દેશ અને દુનિયામાં નામ રોશન કરવાના ઉદ્દેશ્ય સાથે ગિનિસ રેકોર્ડ બનાવવાની નેમ લીધી હતી. જેના માટે તેણે આજે ભાવનગરથી 602 કિલોમીટરની નોન-સ્ટોપ દોડનો પ્રારંભ કર્યો હતો. આ દોડ માત્ર 72 કલાકમાં એક પણ વિરામ લીધા વિના પૂર્ણ કરવાનો તેનો લક્ષ્યાંક હતો.


દોડની શરૂઆત નીલમબાગ પેલેસ ખાતેથી કરવામાં આવી

આ દોડની શરૂઆત આજે સવારે 10 કલાકે ભાવનગરના ઐતિહાસિક નીલમબાગ પેલેસ ખાતેથી કરવામાં આવી હતી. આ સ્થળ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે ભાવનગર રાજ્ય આઝાદી બાદ દેશમાં વિલીન થનારું પ્રથમ રાજ્ય હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાવનગર રાજના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ હાજર રહ્યા હતા. તેમની સાથે અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ ડો. હાજી હૈયાતખાન બલોચ, ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની અને ગુજરાત એન.સી.સી.ના સી.ઓ. વૈભવભાઈ દીક્ષિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને બાલકૃષ્ણ પરમારને પ્રસ્થાન કરાવ્યું હતું.

 કોઈએ બાલકૃષ્ણ પરમારને તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી

બાલકૃષ્ણ પરમારની 602 કિલોમીટરની આ દોડનો રૂટ ભાવનગરથી શરૂ થઈને મહુવા, સોમનાથ, દ્વારકા અને અંતે પોરબંદર સુધી પહોંચશે. આ સમગ્ર યાત્રા તે માત્ર 72 કલાકમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમનું સુંદર આયોજન ભાવેશભાઈ ટાકે કર્યું હતું. જેમાં દેવરાજભાઈ સોલંકી અને નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યો સહિત વિવિધ સમાજના લોકો અને પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ બાલકૃષ્ણ પરમારને તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ દોડ દેશની એકતા અને ખેલદિલીની ભાવનાનું પ્રતીક બનશે.


  • Follow us on: