ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની બેદરકારીના કારણે ખેડૂતોને વીજળીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાંઝરીયા ફીડરમાં ઘણા સમયથી વીજળીની સમસ્યા ઠેરની ઠેર છે. વારંવાર રજૂઆત કરવા છતાય આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આધેવાડા ગામના ખેડૂતો દ્વારા વીજ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ વીજ સમસ્યા દૂર ન થાય તો ચક્કાજામ કરવાની ચીમકી આતરી છે.


PGVCL કચેરી ખાતે ખેડૂતોની ઉગ્ર રજૂઆત

અધેવાડા વિસ્તારમાં અવાર નવાર થતાં વીજ ધાંધિયાથી ખેડૂતોને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. વીજ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા મોટી સંખ્યામાં ભેગા મળીને ખેડૂતો PGVCL કચેરી ખાતે પહોંચ્યા છે. અધેવાડા ગામમાં ઝાંઝરીયા ફીડરમાં છેલ્લા ઘણા સમયથી આ વીજળીની ચાલી રહેલી સમસ્યાથી ગ્રામજનો અને મોટી સંખ્યામાં ખેડૂતોને અગવડો વેઠવી પડી રહી છે. આગામી દિવસોમાં જો વીજ સમસ્યા દૂર નહીં થાય તો ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરવામાં આવશે.

ખેડૂતોના હાલ બેહાલ છતાય વીજ તંત્ર નિંદ્રાધીન

વીજ કચેરી દ્વારા સમયસર રીપેરીંગ કામગીરી ન કરાતા ફરિયાદો ઉઠી છે. અનેક વાર દરખાસ્ત કરી હોવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતો હોવાનો આક્ષેપ કરાયો છે.આક્રોશે ભરાયેલા ખેડૂતોએ PGVCL કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. વીજ સમસ્યાનો સંપૂર્ણ પણે નિકાલ લાવવાની માંગ સાથે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે PGVCL દ્વારા ખેડૂતોની માંગ ક્યારે સ્વિકારવામાં આવશે.

  • Follow us on: