ભાવનગર જિલ્લાના ઉમરાળા-ધોળા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી ટ્રાવેલ્સ બસે ટુ-વ્હીલરને અડફેટે લેતાં તેના પર સવાર બે વ્યક્તિઓનાં કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળે બસ મૂકીને ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગોઝારો અકસ્માત ઉમરાળા અને ધોળા વચ્ચે આવેલા સવાણી ઓઇલ મિલ નજીક રાત્રિના સમયે બન્યો હતો.


ઉમરાળા-ધોળા વચ્ચે સર્જાયો અકસ્માત

પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર ઘટનામાં ટુ-વ્હીલર પર સવાર બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે આ દરમિયાન બસ ચાલક પોતાની બસને ત્યાં જ મૂકીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ઉમરાળા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર થયેલા બસ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાનગી બસના નંબરના આધારે ચાલકની ઓળખ કરીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે ઉમરાળા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


  • Follow us on: