ભાવનગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખને નોટિસ ફટકારવામાં આવી છે. પૂર્ ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જાહેરમાં કરેલા આક્ષેપોથી ભાજપમાં વિવાદ વકર્યો હતો અને શિસ્ત ભંગ કરવા બદલ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દ્વારા પૂર્વ પ્રમુખને નોટિસ ફટકારવામાં આવી હતી.


ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ આગ ઓકી

તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરપંચોનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જે સંમેલનમાં ભાજપના નેતાઓએ જાહેરમાં પ્રવચનો કર્યા હતા, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા દ્વારા ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ આગ ઓકી હતી. ધારાસભ્યની વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર અંગે પણ આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો.

પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાને નોટીસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો

એક જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય વિરૂદ્ધમાં પૂર્વ જિલ્લા પ્રમુખના ગંભીર આક્ષેપોના પગલે રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાન ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાને નોટીસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ અંગે વર્તમાન જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટીની કોઈપણ બાબતો હોય તો તે કોરમમાં રજૂ કરી શકાય છે. પરંતુ જાહેરમાં આ રીતે ધારાસભ્યની વિરુદ્ધમાં આક્ષેપો કરવા તે પાર્ટીની શિસ્ત વિરુદ્ધ ગણવામાં આવે છે, એટલા માટે નોટિસ આપવામાં આવી છે.

  • Follow us on: