ભાવનગર શહેરમાં GST વિભાગ દ્વારા રમકડાંના હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી રમકડાંની દુકાનોમાં GST વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરી છે. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. GST વિભાગને રમકડાંના વેપારમાં કરચોરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે આજે વહેલી સવારથી જ શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં આવેલી હોલસેલ દુકાનો અને ગોડાઉનોમાં દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રમકડાના હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા
આ દરોડા દરમિયાન GST વિભાગની ટીમોએ વેપારીઓના ધંધાકીય દસ્તાવેજો, ખરીદ-વેચાણના બિલ અને સ્ટોકની વિગતોની ચકાસણી કરી હતી. ખાસ કરીને બિલ વગરના વેપાર અને ઓછું બિલિંગ કરીને કરચોરી કરવાની શંકાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. GST અધિકારીઓ કલાકો સુધી વેપારીઓના ચોપડા અને કોમ્પ્યુટર ડેટાની ચકાસણી કરી રહ્યા હતા. આ ઘટનાથી માત્ર રમકડાંના વેપારીઓ જ નહીં પરંતુ અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.













