રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવતા બોટાદ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ અને બોટાદના પ્રમુખ ઈન્દ્રસિંહ રાયજાદાએ આ મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ખરીદી શરુ ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
મગફળીનો પાક તૈયાર છે. પરંતુ તેને વેચી ન શકતા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર વારંવાર ખેડૂતોની હોવાની મોટી જાહેરાતો કરે છે પરંતુ જમીની સ્તરે કામ થતું નથી. જ્યારે ખેડૂતો હેરાન-પરેશાન થાય છે. ત્યારે સરકારની વાતો ખોટી સાબિત થાય છે. કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની માગ કરી છે.













