બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારો દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે.


બોટાદ જિલ્લામાં વગર પરમિશને સરઘસ અને રેલી નહી કઢાય

તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં તા. 13 નવેમ્બરથી 27 નવેમ્બર ( બંને દિવસ સુદ્ધા) સુધી કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરશો તો પોલીસ નોંધશે ગુનો

ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલા લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલાં લેવાં માટે ફરજ પરનાં કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

  • Follow us on: