બોટાદ જિલ્લાના જોટીગડા ગામે બે દિવસ અગાઉ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ફરજ પરના તલાટી મંત્રીને કેટલાક શખ્સો દ્વારા બેશરમીથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. હુમલાનો ભોગ બનેલા તલાટી મંત્રીનું નામ કમલભાઈ તાવીયા છે, જેઓ બોટાદના રહેવાસી છે અને હાલમાં જેસર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેઓ નિવૃત્ત આર્મી મેન પણ છે.
કારની વચ્ચે પશુઓ આવી જતા થઇ બબાલ
બનાવ બન્યો ત્યારે કમલભાઈ તાવીયા પોતાની કારમાં બોટાદથી જેસર તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ જોટીગડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પશુઓનો એક સમૂહ તેમની કારની વચ્ચે આવી ગયો હતો. આ મામલે થયેલી સામાન્ય બબાલ બાદ કેટલાક સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈને કમલભાઈ તાવીયા પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કોઈપણ પ્રકારની દયા રાખ્યા વિના તલાટી મંત્રી પર લાકડીઓ અને પથ્થરો વડે માર મારવાનું શરૂ કર્યું હતું.













