વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાને હજુ લોકો ભુલ્યા નથી, ત્યારે બોટાદમાં કોઝ વે બેસી જવાની ઘટના સામે આવી છે. બોટાદના રાણપુર તાલુકાના ગઢિયા ગામ પાસે ગોમા નદી પર આવેલો કોઝવે બેસી ગયો છે. ગઢિયા ગામથી અલમપુર ગામ જવાના મુખ્ય માર્ગ પર આ કોઝવે આવેલો છે. ગઢિયા, અલમપુર, દેરડી ગામના લોકોને રાણપુર, પાળીયાદ, બોટાદ, ધંધુકા સહિત દસેક ગામોમાં જવા માટેનો મુખ્ય કોઝવે હતો.
વાહનચાલકો જીવના જોખમે વાહનો ચલાવવા મજબુર બન્યા
ગઢીયા ગામ નજીક કોઝવે બેસી જતાં લોકોને હાલમાં મોટી મુશ્કેલી પડી રહી છે. કોઝવે બેસી જતાં એસટી બસ સહિત મોટા વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પણ જીવના જોખમે વાહનો ચલાવવા મજબુર બન્યા છે. કોઝવે તુટવાના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક મોટો પુલ બનાવવા માટેની માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લામાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં
બોટાદ જિલ્લાના અણીયાળી ગામથી બોટાદને જોડતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેના કારણે રસ્તો ખખડધજ હાલતમાં છે, જેથી ગામના લોકોને બોટાદ સહિતના ગામોમાં જવા આવવા માટે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રસ્તાઓ પર ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ રહેશે, ત્યારે તાત્કાલિક રોડનું સમારકામ કરવા લોકો માગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામથી પાળીયાદ બોટાદને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને વરસાદ થતાં રોડ ધોવાયો છે, જેના કારણે રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ એકદમ ખખડધજ હાલતમાં છે. આ રોડ ઉપર દરરોજ બોટાદમાં હીરા ઘસવા માટે રત્નકલાકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અવર-જવર કરે છે. પરંતુ ખરાબ રસ્તો હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હેરાન-પરેશાન થઈ રહ્યા છે.