ખેડામાં ચોમાસાની સિઝનમાં સારો વરસાદ રહ્યો. વરસાદના કારણે વિસ્તારો જળબંબાકાર થાય છે. ભારે વરસાદનું જોર રહેતા મકાનો, રસ્તાઓ અને બ્રિજ વધુ ક્ષતિગ્રસ્ત થાય છે. પાદરા બ્રિજ ધરાશાયી દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું અને રાજ્યના તમામ બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી. આ સંદર્ભે આજે મહુધાના અલીણામાં અધિકારીઓ નિરીક્ષણ માટે આવતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ હલ્લો બોલાવતા માગ કરી કે જર્જરિત બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે.
રાજ્યના તમામ બ્રિજની ચકાસણી
સરકાર દ્વારા રાજ્યના તમામ બ્રિજની ચકાસણી હાથ ધરાઈ છે. ખેડા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ બ્રિજના ઇન્સ્પેક્શન માટે ટીમ બનાવવામાં આવી છે. જે અંતર્ગત મહુધા તાલુકાના અલીણાથી પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. આ ટીમમાં સામેલ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, R&B સહિતના અધિકારીઓ જયારે શેઢી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે તેમને જોઈને સ્થાનિકો રોષે ભરાયા. સ્થાનિકોએ અધિકારીઓનો ઉધડો લેતા સવાલ-પર સવાલ પૂછવા લાગ્યા.
R&B વિભાગને પૂછો
રોષે ભરાયેલા સ્થાનિકોએ અધિકારીઓને સવાલ કર્યા કે જો આ બ્રિજ નવો બનાવવાને લઈને ટેન્ડર મંજૂર થયું હતું તો પછી કેમ 18 લાખના ખર્ચે મરામત કરવામાં આવ્યું. તેના જવાબમાં ડેપ્યુટી કલેક્ટરે કહ્યું R&B વિભાગના અધિકારીઓને આ બાબત પૂછો. અમે તો આદેશ મુજબ નિરીક્ષણ કરવા આવ્યા છીએ અને બ્રિજની સ્થિતિનો રિપોર્ટ સુપરત કરીશું. દરમિયાન અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બ્રિજ બાબતે ગરમાગરમી થઈ. બ્રિજ નવો બનશે અને અત્યારે લાખો રૂપિયાની મરામત આખરે તો પ્રજાના પૈસા જ વેડફાય છે. નેતાઓના ખિસ્સામાંથી થોડા રૂપિયા ઓછા થશે તેમ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરતા અધિકારીઓ મૌન થઈ ગયા હતા.
ભારે વાહન માટે પ્રતિબંધિત
શેઢી નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી અત્યારે ભારે વાહન માટે પ્રતિબંધિત કરાયો. ત્યારે અગાઉ પણ ભારે વાહનોને લઈને પ્રતિબંધનું જાહેરનામું હોવા છતાં આ બ્રિજ પરથી બે રોકટોક ભારે વાહનો પસાર થતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. એટલે જ આ પ્રતિબંધનું કડક પાલન થાય માટે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા લોકોએ સૂચન કર્યું.
વરસાદે મચાવી તબાહી
અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં સરેરાશ 24.1મીમી વરસાદ વરસ્યો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજ અને મહુધામાં ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર થયેલા પાકને નુકસાન થયું. ભારે વરસાદનું જોર રહેતા અવારનવાર મહુધાનું તળાવ છલકાતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે આ વિસ્તારની સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.