વડોદરાના પાદરામાં જર્જરિત ગંભીરા બ્રિજ બુધવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મૃત્યુ આંક 14 થયો છે. આજે શોધખોળ દરમિયાન વધુ બે મૃતદેહો મળી આવ્યા હતાં. ગઈકાલે 13 મૃતદેહો મળ્યા હતાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજુ પણ મહિસાગર નદીમાં શોધખોળ ચાલુ છે. 10 એજન્સીઓ રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરીમાં જોડાઈ છે. બીજી તરફ આજે સાંજ સુધીમાં બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ સોંપાય તેવી શક્યતાઓ છે.


દુર્ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આ ઘટનાને લઈને આજે બેઠક મળી હતી. આ બેઠકમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. ગઈકાલે બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમગ્ર ઘટના અંગે ચર્ચાઓ કરી હતી. બીજી તરફ રેસ્ક્યૂ કામગીરીમાં વિલંબ થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો છે. લાપતા થયેલા લોકોના પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને અધિકારીઓને મળવા માગ કરી હતી.કર્મચારીઓ અને પરિજનો વચ્ચે રકઝક પણ થઈ હતી.

આઠ લોકો લાપતા થયા હોવાની આશંકા

આ બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકો લાપતા થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આણંદ જિલ્લાના 6 અને ભરૂચ તથા પંચમહાલ જિલ્લાના એક વ્યક્તિ લાપતા થયા હોવાની આશંકા છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભૂપેન્દ્ર પરમાર, રયજી પરમાર, યોગેન્દ્ર ચૌહાણ, યોગેશ પટેલ, મોહન ચાવડા, દિલીપ પઢીયાર, અતુલ રાઠોડ અને પંચમહાલના સુખભાઇ વાગડીયા લાપતા થયાં હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


  • Follow us on: