ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની સ્લેબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન કરાવું છે. GST સંબંધિત મામલાઓની સર્વોચ્ચ સંસ્થા GST કાઉન્સિલની ૫૯મી બેઠકમાં હવે દેશમાં GSTના માત્ર બે સ્લેબ રાખવાને જ મંજૂરી અપાઇ છે.ગત રાત્રે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને સ્પષ્ટ કર્યુ હતું કે GSTના હવે બે સ્લેબ જ રહેશે.પાંચ ટકા અને 18 ટકા.એટલે કે સરકારે 12 ટકા અને 28 ટકાના સ્લેબને સમાપ્ત કરી નાખ્યો છે. તેમાં સામેલ તમામ વસ્તુઓ હવે સરકારે મંજૂર કરેલા ટેક્સ સ્લેબમાં આવરી લેવાશે.તેના કારણે ચાહકોને ફાયદો થશે અને ઘણો સામાન સસ્તો થઈ જશે.


વેપારીઓએ ઢોલના તાલે નાચીને મીઠાઈ વહેંચી

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેટલાક ઈલેકટ્રોનિક ઉપકરણમાં GSTના દરમાં ઘટાડો થયો છે. જેના કારણે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. અમદાવાદમાં વેપારીઓએ ઢોલના તાલે નાચીને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠુ કરાવ્યું હતું. સરકારને GSTના સ્લેબમાં ઘટાડા માટે વેપારીઓએ રજૂઆત કરી હતી. વેપારીઓએ કહ્યું હતું કે, હવે અમારા વેપાર ધંધા ખૂલશે. ટીવી, ફ્રીજ અને એસીની ખરીદી કરતા ગ્રાહકોને હવે પાંચથી 10 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આ સ્લેબને ગૃહિણીઓએ પણ આવકાર્યો

આ અંગે ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક GST રીફોર્મ છે. નવા સ્લેબમાં રોટી, કપડાં અને મકાનનું ધ્યાન રખાયું છે. કેન્દ્ર દ્વારા GSTમાં 12 અને 28 ટકાનો સ્લેબ નાબૂદ કરાયો છે. તમાકુ સહિત લકઝરી વસ્તુઓ પર ટેક્સમાં વધારો કરાયો છે. વેપારીઓ બાદ આ સ્લેબને ગૃહિણીઓએ પણ આવકાર્યો છે. દૂધ, પનીર, રોટલી જેવી વસ્તુઓ GST શૂન્ય કરાયો છે. જ્યારે ઘી અને માખણ પરનો GST ઘટાડીને પાંચ ટકા કરાયો છે. જ્યારે જીવન વીમા અને સ્વાસ્થ્ય વિમા પર પણ શૂન્ય GST કરાયો છે.

GSTમાં રિફોર્મથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

દેશમાં ખેડૂતો પણ આ નિર્ણયના કારણે ખુશ જોવા મળ્યા છે. કેન્દ્રએ ખેતીમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પણ GST ઘટાડ્યો છે. કૃષિ મશીનરી અને ટ્રેક્ટર પર GST પાંચ ટકા કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જંતુ નાશક દવાઓ પર પણ GSTમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. હાલમાં ચોમાસાની સિઝનમાં જ સરકારે નિર્ણય લેતા ખેડૂતોને મોટો ફાયદો થશે તેવું ખેડૂત સુત્રો જણાવી રહ્યાં છે.


  • Follow us on: