અમદાવાદના વટવા વિસ્તારમાં સનસનાટીભરી ઘટના બની છે, જ્યાં એક આરોપીએ જૂની અદાવતનો બદલો લેવા માટે ફાયરિંગ કર્યું છે. આ ઘટના ચાર માળિયા વિસ્તારમાં બની હતી. આરોપી ઇમરાન ઉર્ફે કડિયાએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.


બદલો લેવા કર્યું ફાયરિંગ

આ ફાયરિંગ ઘટના પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી ઇમરાન ઉર્ફે કડિયાએ બે વર્ષ પહેલાં સાહિસ્તા બાનું પાસે ખંડણી માંગી હતી જેના વિરુદ્ધ સાહિસ્તા બાનુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ઇમરાન જેલમાં હતો અને તાજેતરમાં જ બે વર્ષ બાદ જેલમાંથી છૂટ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ખંડણીની ફરિયાદનો બદલો લેવા માટે આ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આરોપી ફરાર

સદનસીબે, આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નથી. ઘટના બાદથી આરોપી ઈમરાન ઉર્ફે કડિયા ફરાર થઈ ગયો છે. પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ ઝડપથી આરોપીને પકડી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: