ગુજરાત પોલીસ અને ગ્રામજનો તથા ગામના આગેવાનો વચ્ચે સંકલન વધારવા માટેના પ્રયાશો શરુ કરવામાં આવ્યા છે, 650થી વધુ પોલીસ મથકોમાં ગામના આગેવાનો અને સરપંચો સાથે પોલીસે સંવાદનો કાર્યક્રમ યોજાશે જેની શરુઆત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં આજે સાણંદના 150થી વધુ ગામ પંચાયતના સભ્યો અને આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો, આ સંવાદનો મુખ્ય હેતુ ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને કંટ્રોલમાં લેવા માટેનો હતો.
ગુનેગારી ડામવા માટે લેવાઈ સરપંચની મદદ
મોટા શહેરોને બાદ કરી જીલ્લા સ્તરે છેવાડાના વિસ્તારોમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ હવે ગામના આગેવાનો અને સરપંચની મદદ લઈ રહી છે, જેમાં દરેક પોલીસ મથકે આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવશે, જેથી પોલીસ અને ગામના લોકો વચ્ચે સંકલન વધે, જેનો ઉપયોગ બનતા ગુનાને રોકવા અને માથા ઉચકતા અસામાજિક તત્વોને ડામવામાં મદદ મળશે, મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવોની જાણ પોલીસને લાંબો સમય વિત્યા બાદ મળતી હોય છે. જેથી આરોપી વિસ્તાર છોડી નાસી છુટ્યા હોય છે. જે માટે પોલીસ હવે સ્થાનિક લોકોની મદદથી માહિતી મેળવી ગુના અટકાવશે.
અમદાવાદ ગ્રામ્યમાં 1500 ઉપરના પોલીસ કર્મચારી
સરંપચ પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 25 વર્ષ પહેલાની પોતાની વાત યાદ કરી, જ્યારે તેઓ અમદાવાદ ગ્રામ્ય એસપી હતા ઉપરાંત હાલના સમયે પણ ગ્રામ્ય પોલીસ વિભાગમાં 1500 પોલીસ કર્મચારી - અધિકારી છે. જેથી રાજ્યના બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં તમામ જગ્યાએ પોલીસની હાજરી રહે તે શક્ય નથી, માટે ગામ આગેવાનો સાથેના સંબંધો અને ગ્રુપમાં ઝડપથી માહિતી મળી શકે છે અને બોર્ડર જિલ્લામાં ઓપરેશન સિંદૂર વખતે ગ્રામજનો માટે પણ આવા ગ્રુપ ઉપયોગી સાબિત થયા હોવાનુ ડીજીપીએ જણાવ્યું હતુ.
ગ્રામ્યમાં પણ ગુનેગારી અટકાવવામાં પોલીસને મળશે મદદ
સરપંચ સંવાદની સાથે પોલીસે ગામડામાં રહેતા લોકોને સાયબર ક્રાઈમ અને ડ્રગ્સના દૂષણ અટકાવવા માટે પણ ગામે ગામ જાગૃતિ ફેલાવવા અંગે પણ પ્રયાસો કરવા રજૂઆત કરી હતી સાથે જ પોલીસ વડાએ સુચન કર્યુ કે, જો ગામના લોકો સતર્ક રહેશે તો, નશો અને સાયબર ક્રાઈમ બન્નેને અટકાવવામાં મદદ મળી રહેશે.