ગુજરાતમાં બે દાયકા જેટલા સમય બાદ ફરી એક આરોપીના એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરની નર્મદા કેનાલ પાસે લૂંટના ઈરાદે હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમાર પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવીને ફાયરિંગ કરતા વળતા ફાયરિંગમાં તેને પોલીસે ઠાર કર્યો હતો. રાજ્યમાં લગભગ બે દાયકા જેટલા સમય બાદ કોઈ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા એન્કાઉન્ટર વિશે.


રાજ્યમાં અત્યાર સુધી 22 એન્કાઉન્ટર થયા

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમદાવાદના કુખ્યાત બુટલેગર અબ્દુલ લતિફને એન્કાઉન્ટરમા ઠાર કરાયો હતો. ત્યાર બાદ 2002થી 2006 સુધી કુલ 22 એન્કાઉન્ટર થયા હતાં. આ તમામ એન્કાઉન્ટરની ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી કેસ કાર્યવાહી ચાલી હતી. આ ઉપરાંત એન્કાઉન્ટરની તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટી પણ બની હતી. પોલીસે આ એન્કાઉન્ટર પાછળ એ સમયે એવું કારણ રજૂ કર્યું હતું કે, તેઓ ત્રાસવાદી હતા અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના કોઈ મોટા નેતાની હત્યા કરવા માટે આવ્યા હતાં. તેમનો ઈરાદો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો.

રાજ્યમાં સૌથી ચર્ચિત એન્કાઉન્ટર કેસ

રાજ્યમાં થયેલા એન્કાઉન્ટરમાં સૌથી ચર્ચિત કથિત એન્કાઉન્ટરની વાત કરીએ તો, સોહરાબુદ્દિન, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ, ઈશરત જહાં, સાદિક જમાલ, કાસમ જાફર, હાજી હાજી ઈસ્માઈલ અને સમીર ખાનનું એન્કાઉન્ટર છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સમયે ડીજી વણઝારા સહિત 6 આઈપીએસ અધિકારીઓઓને જેલમાં લઈ જવાયા હતાં. આ એન્કાઉન્ટર સમયે ગુજરાત પોલીસ અને ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ગુજરાતના કથિત 22 ફેક એન્કાઉન્ટર સંદર્ભે રિટાયર્ડ જસ્ટિસ એચ.એસ.બેદીનો તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો હતો. છેલ્લે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડીયા ગામે નવેમ્બર-2021માં કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. 

  • Follow us on: