અમદાવાદમાં ટૂર પેકેજ આપતી એક ટ્રાવેલ કંપની કે.સી. હોલીડેના સંચાલકોએ અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ ટ્રાવેલ એજન્સીઓ પર વિશ્વાસ મૂકનારા લોકોને મોટો આઘાત આપ્યો છે. કંપનીના સંચાલક કિરણસિંહ ચૌહાણે દુબઈ અને સિંગાપુર જેવી આંતરરાષ્ટ્રીય ટ્રિપના નામે સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી. 8મી સપ્ટેમ્બરના રોજ જ્યારે ગ્રાહકો ટ્રિપ અંગે પૂછપરછ કરવા ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં તાળા લટકેલા જોઈને તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ કૌભાંડનો ભોગ બનેલા 100થી વધુ લોકો સામે આવ્યા છે, જેમાંથી ઘણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કિરણસિંહ ચૌહાણ અને તેના પરિવાર સામે ગુનો દાખલ
આ મામલે કે.સી. હોલીડેના સંચાલક કિરણસિંહ ચૌહાણ, તેની પત્ની અને કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ સરખેજ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સસ્તા પેકેજની લાલચમાં લોકો કેટલી સરળતાથી છેતરપિંડીનો શિકાર બને છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કિરણસિંહ ચૌહાણ સામે અગાઉ પણ આવા છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ છતાં, તે ફરીથી આ જ પ્રકારનું કૌભાંડ આચરવામાં સફળ રહ્યો, જે કાયદાની અમલવારી પર પણ સવાલ ઊભા કરે છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.













