અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર આવાસની સામે જાહેર રોડ પર રૂટ નંબર 16 ની BRTS બસમાં તોડફોડની ગંભીર ઘટના સામે આવી છે. આ તોડફોડ અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવી હતી, જેનું કારણ બસના ટાયરમાં એક રાહદારીનો પગ આવી જવાથી થયેલો સામાન્ય અકસ્માત હતું. આ બનાવના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લીધો હતો અને જાહેરમાં હિંસક કૃત્ય આચર્યું હતું.


લાકડીના દંડા વડે બસના કાચ તોડ્યા

પ્રાથમિક માહિતી મુજબ, રાહદારીને અડફેટે લેવાયાની ઘટનાથી રોષે ભરાયેલા અજાણ્યા ઇસમોએ લાકડીના દંડા વડે BRTS બસ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં બસના કાચો તોડી નાખ્યા હતા, જેના કારણે બસને વ્યાપક નુકસાન થયું છે, જેનો અંદાજ લગભગ રૂપિયા 90,000 જેટલો છે. આ તોડફોડ દરમિયાન બસના ડ્રાઇવર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

બસમાં તોડફોડ અને ડ્રાઇવર પર હુમલાની આ ઘટના બાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ડ્રાઇવરની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ જાહેર માર્ગ પર હિંસા અને તોડફોડ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તોડફોડ કરનારા આરોપીઓને શોધી કાઢવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: