અમદાવાદના બોપલમાં થોડા દિવસ પહેલા જ થયેલા ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસેથી મૃતકે એક દિવસ અગાઉ જ હથિયાર મગાવ્યું હતું. આપઘાત કરી લેતા બે આરોપીઓ હથિયાર લઈને ભાગ્યા હતા. ત્યારે આ મામલે મૃતક સહિત 3 લોકો સામે ગેરકાયદેસર હથિયારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ આપઘાત મામલે પણ હાલમાં તપાસ ચાલી રહી છે.


શું હતો સમગ્ર મામલો ?

જણાવી દઈએ કે શહેરના બોપલમાં આવેલા કબીર એન્કલેઓ પાસે શિવાલિક બંગ્લોઝમાં રહેતા એક શેર બ્રોકરનું ફાયરિંગમાં તેના જ ઘરમાં મોત થયું હતું. શેર બ્રોકર કલ્પેશ ટુડીયા ના લમણે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું, તે સમયે ઘરમાં મૃતક કલ્પેશની 14 વર્ષની દીકરી અને તેને મળવા આવેલા સુરેન્દ્રનગરના બે યુવકો હતા. અંદાજિત 8.45 વાગ્યા ના આસપાસ બનેલી આ ફાયરિંગની ઘટના અંગે 10:00 વાગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ યુવકના મોત બાદ પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. જોકે જે હથિયારથી ફાયરિંગ થયું તે હથિયાર ગુમ હોવાનું સામે આવતા પોલીસે આ મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી હતી. સાથે જ શેર બ્રોકર કલ્પેશ ના મોત માટે જવાબદાર કોણ તે જાણવા વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.

પોલીસને સુસાઈડ નોટ મળી

ફાયરિંગ અને મોત અંગેની જાણકારી મળતા પોલીસ બનાવના અંદાજિત દોઢ કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવ આ અંગે તપાસ શરૂ કરતાં હકીકત સામે આવી કે ફાયરિંગ બાદ મૃતકની દીકરી મૃતકની પત્નીને ફોન કરી વીડિયો કોલથી માહિતી આપી હતી. તે સમયે મૃતક કલ્પેશને મળવા આવેલા સુરેન્દ્રનગરના બે યુવકો કે જે ઘરની બહાર ગાડી પાસે ઉભા હતા, તે પણ અચાનક રૂમમાં આવી કલ્પેશની સ્થિતિ જોઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસને શંકા હતી કે સુરેન્દ્રનગરના બે યુવકો ફાયરિંગમાં વપરાયેલ હથિયાર લઈને ફરાર થયા છે. જેથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી, આ ઉપરાંત કલ્પેશ પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં તેના પરિચિતને આપેલા 25 લાખ રૂપિયા પરિચિત પરત ન આપતો હોવાથી આર્થિક સંકડામણમાં આ પગલું ભર્યું હોવાનું પણ પોલીસ માની રહી છે.


  • Follow us on: