અમદાવાદના વટવામાં કુતુબનગરમાંથી દ્રશ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે.વર્ષ 1992માં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરીને પરિવારજનો સાથે મળીને ઘરમાં ખાળકૂવામાં તેનો મૃતદેહ દાટી દીધો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી.બે મહિના સુધી સતત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટપૂર્વક વિગતો મેળવીને જેસીબીથી મકાન તોડીને ત્યાં કૂવામાંથી માટી કાઢીને તપાસ કરતા મહિલાની લાશના અવશેષો મળી આવતા FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે.બીજી તરફ, લાશ દાટી દેવામાં મદદ કરનાર અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
ખાળકૂવો ખોદીને મૃતદેહ ત્યાં દાટી દીધો
અમદાવાદના વટવામાં કુતુબનગરમાં વર્ષ 1992માં શમશુદ્દીન પરિવારજનો સાથે રહેતો હતો.આ શમશુદ્દીને બે લગ્ન કર્યા હતા અને અન્ય ફરઝાના નામની પરિણીત મહિલા સાથે તેને પ્રેમસંબંધ હતો.જોકે વર્ષ 1992ના માર્ચ મહિનામાં શમશુદ્દિનના ઘરે ફરઝાના આવી ત્યારે પ્રેમી પ્રેમિકા વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરીને પરિવારજનો સાથે ઘરમાં જ ખાળકૂવો ખોદીને મૃતદેહ ત્યાં દાટી દીધો હતો. ત્યારબાદ કૂવામાં માટીનું પૂરાણ કરીને ઉપર પ્લાસ્ટર કરી દીધું હતું. વર્ષ 2015માં શમશુદ્દીનનું અવસાન થયા બાદ પરિવારજનોને સપનામાં ફરઝાના ઘરમાં હોવાનો ભ્રમ થતો હોવાથી તેઓ તાંત્રિક વિધિઓ કરાવતા હતા.પરંતુ પરિવારજનો મકાનને તાળું મારી બીજે રહેવા જતા રહ્યા હતા.













