સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે આવી છે, જેને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરના RTO સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ ખોલીને લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. 10થી 15 ટકાના વળતરની સ્કીમો દર્શાવીને મોટા રોકાણ મેળવીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે.


સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતિ શિકાર થતા ફરિયાદ

લાખો રુપિયાનું રોકાણ મેળવીને હવે ઓફિસને તાળા મારીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતિ શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે ચાર મહિને પોન્ઝી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી છે. પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની વિગતો સામે આવી છે.

લોકોને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવ્યા

તમને જણાવી દઈએ કે હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના રોકાણકારોએ ફરિયાદ નોંધાવી છે. એપી પોન્ઝી સ્કીમમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રુપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિંમતનગરના ધાણધાના અનિલ પ્રદિપસિંહ પરમાર, તેમના પત્ની નિકીતાબેન, હિતેન્દ્રસિંહ પરમાર, રણવિરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીઝેડ કૌભાંડ બાદ અડધો ડઝન પોન્ઝી સ્કીમો સામે સીઆઈડી અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હજુ પણ કેટલીક પોન્ઝી સ્કીમોના શટર ફરી ખુલ્લા થતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: Gandhinagar News : ઓલિમ્પિક ગેમ્સની વ્યવસ્થાઓના નિરીક્ષણ માટે ગુજરાતના ડેલિગેશનને ઓસ્ટ્રેલિયા આવવા હાઈ કમિશનરનું નિમંત્રણ


  • Follow us on: