વાલિયાથી દોડવાડા ગામ જતાં રસ્તા પરના નાળા પરથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી હત્યારા પતિની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ લખનૌની રૂચિ અવસ્થી અને હત્યારાની ઓળખ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શિવકૃપા બંગલોઝમાં રહેતાં રાજેન્દ્ર શ્રીવાસ્તવ તરીકે થઈ હતી.


દોડવાડામાં મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો

પોલીસના જણાવ્યાં અનુસાર રાજેન્દ્રની પહેલી પત્નીનું હદયરોગનો હુમલો આવતાં 2018માં મૃત્યુ થયું હતું.પહેલી પત્નીના અવસાન બાદ બાળકોની જવાબદારી માટે પરિવારે તેને બીજા લગ્ન કરી લેવા માટે સમજાવ્યો હતો.જેથી મેટરીમોનિયલ સાઈટ પરથી તે લખનૌની રૂચિ અવસ્થીના સંપર્કમાં આવ્યો હતો અને 2019માં તેમણે લગ્ન કરી અંકલેશ્વરમાં ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું.

પોલીસે આરોપીને ઝડપી લીધો

જે બાદ રૂચિ અવારનવાર ઘરેથી જતી રહેતી હતી અને મનફાવે તે રીતે રૂપિયા વાપરતી હોવાથી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા.બે દિવસ પહેલાં રાજેન્દ્ર ધંધાના કામે બહાર ગયા હતાં ત્યારે રૂચિ ચાર વર્ષના દીકરાને ઘરે એકલો મુકી બહાર જતી રહી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા રાજેન્દ્રએ ઘરના મંદિરમાં રહેલું ધારદાર હથિયાર લાવી રૂચિનું ગળુ કાપી હત્યા કરી નાંખી હતી.હત્યા કર્યા બાદ મૃતદેહને ચાદરમાં લપેટીને દોડવાડા ગામ પાસે નાળામાં નાંખી દીધો હતો.હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

  • Follow us on: