દેવભૂમિ દ્વારકામાં 'મહાકાલ ગેંગ' પર પોલીસે ગુજસીટોકનો કોરડો વિંઝ્યો છે. મહાકાલ ગેંગ ચલાવતા સાત નામચીનો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા પોલીસે નવા રચાયેલા અને કુખ્યાત 'મહાકાલ ગેંગ'ના મુખ્ય સૂત્રધારો કિશનભા માણેક અને મેહુલ પરમાર સહિત સાત સભ્યો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)ની કલમો લગાવીને કાર્યવાહી કરી છે.
અપહરણ, ખંડણી, સહિતના ગુના
આ નામચીન શખ્સ ઊંચા વ્યાજના નાણાંની ઉઘરાણી માટે અપહરણ, ખંડણી, અને અનુસૂચિત જાતિની મહિલાઓ સહિત પરિવાર પર જ્ઞાતિ આધારિત અત્યાચાર જેવા ગંભીર ગુનાઓની તપાસ બાદ આ સંકલિત ગુનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સતત હિંસા, ધમકીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
પોલીસે સ્પષ્ટ કર્યું કે આ ગેંગે મિઠાપુર અને ઓખા-મંડળ વિસ્તારમાં સતત હિંસા, ધમકીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. જિલ્લામાં ગુજસીટોક હેઠળ સફાયો થયેલી આ ત્રીજી ગેંગ છે. તમામ સાત આરોપીઓને 14મી ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે
આ શખ્સો સામે કાર્યવાહી
મહાકાલ ગેંગમાં કિશનભા ભાવુભા માણેક(જોધાણી), મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર, કરણભા જેઠાભા કારા, ઉમેશભા અજુભા માણેક, કનૈયાભાઇ ઉર્ફે કાનો સામરાભાઇ હાથીયા, એભાભા વીરાભા સુમણીયા અને દિપુભા વીરાભા સુમણીયા સામેલ છે અને તે લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરતા હતા.
કિશનભા અને મેહુલ પરમાર નામના 2 આરોપી આ ગેંગના મુખ્ય સુત્રધારો
દેવ ભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે મહાકાલ ગેંગ નામે સંગઠીત ગુના આચરતા 7 આરોપી સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે અને તમામની ધરપકડ કરાઇ છે. તેમણે કહ્યું કે કિશનભા અને મેહુલ પરમાર નામના 2 આરોપી આ ગેંગના મુખ્ય સુત્રધારો છે. બંને મહાકાલનું ટેટું ચિતરાવે છે અને બાઇક પર પણ તેમણે મહાકાલ નું સ્ટીકર લગાડેલું છે.
લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરીને પૈસા ઉઘરાવતા
આ ટોળકીના સભ્યો લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરીને પૈસા ઉઘરાવતા હતા. તથા દુકાનમાં જઇને ખરીદી કર્યા પછી પણ પૈસા ના આપતા અને વેપારીને માર મારતા હતા. તેઓ રસ્તામાં વાહન રોકી મારકૂટ કરતા હતા. ઉપરાંત નાણા ધીરધાર અને બળજબરી ધાકધમકીથી પૈસા ઉઘરાવતા હતા. આરોપીઓ સામે એટ્રોસીટીનો ગુનો પણ તેમની સામે છે. સાતેય સામે અલગ અલગ 13 ગુના દાખલ છે. તેઓ મેળાપીપણું કરી ગુનાહીત પ્રવૃત્તી આચરી ભયનો માલો ઉભો કરી પૈસા પડાવતા હતા.
અમે આવા ગુનેગારોને નેસ્તનાબુદ કરીશું
તાજેતરમાં જીગરભાઇ નું અપહરણ કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રજાને સંદેશ આપવા માંગુ છું કે કોઇ પણ પ્રકારનો ભય વગર રાખ્યા વગર આવા અસામાજીક તત્વો સામે ફરિયાદ કરવા પોલીસનો સંપર્ક કરો. અમે આવા ગુનેગારોને નેસ્તનાબુક કરીશું