દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના વાડિનાર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. થોડા દિવસો પહેલા ભરાણા ગામે બે પોલીસકર્મીઓ દ્વારા શારીરિક અત્યાચારને કારણે એક યુવાને આપઘાત કરી લીધો હતો. દારૂના કેસમાં એક યુવાનને વાડીનાર પોલીસના બે કર્મચારીઓએ ઢોર માર મારતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં મામલો ગરમાયો હતો.


યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો

ભરાણા ગામે યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેણે બંને પોલીસ કર્મી પ્રદીપસિંહ અને કરશનભાઇ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા ક્ષત્રિય સમાજના 500 જેટલા લોકોએ વાડીનાર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કરણી સેના દ્વારા આ મામલે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાને રજૂઆત કરાઈ હતી.

બે કર્મચારીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો

જિલ્લા પોલીસ વડાએ આ અંગે જામ ખંભાળિયાના પીઆઈને તપાસ સોંપી હતી. પોલીસની સ્પષ્ટતા મળતા વાડીનાર પોલીસ સ્ટેશનના બંને કર્મચારીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે જામ ખંભાળિયાના ડીવાયએસપી વી.પી.માનસેતાએ કહ્યું હતું કે, વાડીનાર મરીન પોલીસના બે કર્મચારીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છ. થોડા સમય પહેલા આ યુવક દારુ પીને આવતો હતો અને આ પોલીસ કર્મીઓએ તેને માર માર્યો હતો. ત્યાર બાદ આ યુવકે દવા પીને આપઘાત કરી લીધો હતો. હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


  • Follow us on: