સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મ્યાનમાર સ્થિત સાયબર ક્રાઇમ સ્કેમ કમ્પાઉન્ડ્સમાં ભારતીય નાગરિકોની ગેરકાયદેસર હેરાફેરી સંબંધિત બે કેસ નોંધીને બે એજન્ટોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સોયલ અખ્તર અને મોહિતગીરી તરીકે થઈ છે. મોહિતગીરી કચ્છના મુન્દ્રાનો રહેવાસી છે. આ એજન્ટો ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના લોકોને ઊંચા પગારવાળી નોકરીઓની લાલચ આપીને થાઇલેન્ડ થઈને મ્યાનમાર લઈ જતા હતા, જ્યાં તેમને ખોટી રીતે બંધક બનાવવામાં આવતા હતા. આ કેસ માનવ તસ્કરી અને ખોટી રીતે કેદ કરવાના ગંભીર ગુનાઓ સાથે સંબંધિત છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
સાયબર ગુલામીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ
CBIની તપાસમાં ખુલાસો થયો છે કે એક સંગઠિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ આ ગુનામાં સામેલ છે. આ સિન્ડિકેટ ભારતીય નાગરિકોને વિદેશમાં આકર્ષક રોજગારના ખોટા વચનો આપીને મ્યાનમારના સ્કેમ કમ્પાઉન્ડ્સમાં હેરાફેરી કરે છે. ત્યાં પહોંચ્યા પછી, પીડિતોને 'સાયબર ગુલામો' તરીકે ધાકધમકી, કેદ અને શારીરિક શોષણનો ભોગ બનાવીને, તેમની ઇચ્છા વિરુદ્ધ મોટા પાયે સાયબર છેતરપિંડીની કામગીરીમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવે છે. આમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો, રોકાણ કૌભાંડો અને રોમાંસ કૌભાંડોનો સમાવેશ થાય છે જે વૈશ્વિક સ્તરે લોકોને લક્ષ્ય બનાવે છે. ભારત સરકારે તાજેતરમાં મ્યાનમારથી અનેક પીડિતોને બચાવવામાં પણ મદદ કરી છે.













