નવરાત્રિ દરમિયાન દહેગામના બહિયલમાં સોશિયલ મીડિયાની એક પોસ્ટને કારણે જૂથ અથડામણ થઈ હતી. જેમાં બે કોમના લોકો સામ સામે આવી ગયા હતાં. કેટલાક લોકોએ માતાજીની માંડવી પાસે પણ તોફાન કર્યું હતું. ગામમાં દુકાનોમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડીને કાર્યવાહી ચાલુ કરી છે. ત્યાં બહિયલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.
ગેરકાયદે બાંધકામ કરી દેવાયુ હોવાની પણ ફરિયાદ કરાઈ
દહેગામના બહિયલમાં વડિલોપાર્જિત જમીન પર ગેરકાયદે કબજો કરી લેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બહિયલમાં ગોસ્વામી પરિવારની ખેતીની જમીન પર વિવાદ સર્જાયો છે. આશરે સાડા ત્રણ વિઘા જમીન પર વિવાદ થયો છે. બહિયલમાં સરવે નંબર 682 વાળી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેવાયુ હોવાની પણ ફરિયાદ કરાઈ છે. આ જમીન પર કોઈપણ મંજૂરી વિના 40થી વધુ મકાનો બાંધી દેવામાં આવ્યા છે.













