ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર વિસ્તારમાં પુરવઠા વિભાગે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. બપોરે અઢી વાગ્યે પાડવામાં આવેલા દરોડામાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી એક છકડો રિક્ષા ઝડપાઈ છે. આ રિક્ષામાંથી કુલ 100 કિલો ઘઉં, 150 કિલો ચોખા અને બાલભોગના 20 પેકેટ મળી આવ્યા છે. આ જથ્થો ગેરકાયદેસર રીતે બજારમાં વેચાણ માટે લઈ જવામાં આવતો હતો. આ દરોડાએ સરકારી અનાજના ગેરકાયદેસર વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
રિક્ષાચાલકે ગેરકાયદેસર ખરીદીની કબૂલાત કરી
આ મામલે પુરવઠા વિભાગે રિક્ષાચાલક દાદામીયાં હાસમઅલી કાદરીની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે આ અનાજનો જથ્થો NFSA (National Food Security Act) અંતર્ગત રેશનકાર્ડ ધારકો પાસેથી ખરીદ્યો હતો. આ કબૂલાતથી સ્પષ્ટ થાય છે કે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફાળવવામાં આવતું સરકારી અનાજ સસ્તા ભાવે ખરીદીને કાળા બજારમાં ઊંચા ભાવે વેચી મારવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને રિક્ષા સહિત કુલ ₹ 56,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.













