જૂનાગઢ વન વિભાગ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડમાં આવતા દાતાર સીડીની આજુબાજુના અભ્યારણ્ય વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી કરતા ઈસમોને પકડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો છે અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સ્ટાફને આ ઈસમો ધ્યાને આવતા તેમનો પીછો કરવામાં આવ્યો

​છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગત તારીખ 05-10-2025ના રોજ ચંદનના ઝાડ કાપવાના ઈરાદે આવેલા કેટલાક અજાણ્યા ઈસમો સીડીની આજુબાજુ નજરે પડ્યા હતા. સ્ટાફને આ ઈસમો ધ્યાને આવતા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. આખરે, ઈસમો ભવનાથ પાંચ નાકા પાસેથી બહાર નીકળતા જ સ્ટાફે કાર્યવાહી કરી હતી. જેમાં એક ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ વિરમારામ મોતીરામ કલાવા (રહે. સાટીયાખેડી, તા. ગોગુંદા, જી. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેઓ કુલ 5 શખ્સની ટોળકીમાં હતા, જેમાંથી બાકીના 3 ઈસમો મજેવડી ખાતે તેમની રાહ જોઈ રહ્યા હતા.

બાકીના ફરાર ઈસમોની શોધખોળ શરૂ

​આ ત્રણ સાથીદારો જૂનાગઢથી ઉદયપુર જવા માટે મજેવડી સક્કરબાગ રોડ પર આવેલા રાજ ગુરુ ટ્રાવેલ્સની બસમાં જવાની યોજના હતી. આ માહિતીના આધારે વન વિભાગે ટ્રાવેલ્સ ઓફિસનો સંપર્ક કર્યો, પરંતુ ઉદયપુર જતી બસ રવાના થઈ ચૂકી હતી. તાત્કાલિક બસના ડ્રાઈવર સાથે વાતચીત કરીને બસનો પીછો કરવામાં આવ્યો, જેતપુરથી આગળ બસને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં ચંદનનો મુદ્દામાલ મળી આવ્યો હતો, પરંતુ એકપણ ઈસમ હાજર નહોતો. તપાસ દરમિયાન અભ્યારણ્ય વિસ્તારમાંથી કુલ 4 ચંદનના વૃક્ષો કપાયેલા જોવા મળ્યા હતા. હાલમાં, ACFના માર્ગદર્શન હેઠળ બાકીના ફરાર ઈસમોની શોધખોળ માટે જેતપુર, ગોંડલ અને રાજકોટ ખાતે સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


  • Follow us on: