​વર્ષ 2023ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન, PM-AY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ પાંચ સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરિયન ડિલિવરી બાદ, આ પાંચેય મહિલાઓમાં સિરમ ક્રિએટીનાઇનનું પ્રમાણ વધી ગયું હતું, અને તેમને લીવર પર સોજો અને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું, આ પાંચ મહિલાઓમાંથી બેની તબિયત વધુ ગંભીર થતાં તેમને રાજકોટની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું હતું. અન્ય ત્રણ મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર છે અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.


જૂનાગઢમાં દર્દી મોતને લઈ હોસ્પિટલના સંચાલકોને જેલ ભેગા

​મૃતક મહિલાના પતિએ હોસ્પિટલ સંચાલકો અને તબીબો સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતા જોતા, 11 ડોક્ટર્સની એક પેનલ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. તપાસના રિપોર્ટમાં એવું સામે આવ્યું કે હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું ન હતું, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી.

જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો

આ રિપોર્ટના આધારે, 31 જુલાઈ, 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલકો અને બે તબીબો સામે ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા, હેલ્થ પ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકો સલીમ મુસાભાઈ બારેજીયા, જુનેદ જકરીયાભાઈ પલ્લા, અને સોહિલ હબીબભાઈ સમાની ધરપકડ કરવામાં આવી. તેમને કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. ​આ કેસ મેડિકલ બેદરકારીના ગંભીર પરિણામો દર્શાવે છે અને હોસ્પિટલના સંચાલકો પર કાનૂની કાર્યવાહીનો આ પહેલો કિસ્સો નથી.

 

  • Follow us on: