ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર ખાતે આવેલા મંદિરમાં થયેલી તોડફોડના મામલે એક ચોંકાવનારો અને શરમજનક ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૃત્ય કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ મંદિરના મુખ્ય પૂજારી કિશોર કુકરેજાએ જ કર્યું હતું. પૂજારીએ પોતાની અંગત કમાણી વધારવાના આશયથી આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ ખુલાસા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂજારી કિશોર કુકરેજા અને તેના એક મદદગારની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પોલીસની સઘન તપાસ
આ સંવેદનશીલ ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અતિ સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે 156 જેટલા સીસીટીવી ફૂટેજ અને 500થી વધુ કોલ ડિટેઈલ ચકાસી હતી. આ ઉપરાંત, ઘટનાના સમયે રોપ-વેમાં ગયેલા 170 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં, પરંતુ તળેટી વિસ્તારની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક શંકાસ્પદ બાબતો મળી આવી હતી, જેણે તપાસની દિશા બદલી.













