જૂનાગઢમાં શેરબજારનું ટ્રેડીંગ કરતા એક ધંધાર્થીને છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં રહેલા એક માથાભારે શખ્સે અવાર નવાર ફોન કરીને 10 લાખની ખંડણી માગી હોવાનું અને ધંધાર્થીના ઘરે તમંચા સાથે માણસો મોકલીને ધમકીઓ આપતો હોવાનો ગુન્હો પોલીસ દફતરે નોધાયો છે.


શેરબજારમાં રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા

જૂનાગઢમાં જોશીપરા આશિયાના સોસાયટીમાં રહેતા અને ઝાંઝરડા રોડ ઉપર ઈમ્પિરીયલ પ્લસમાં ત્રીજા માળે રઘુવીર ફાયનાન્સ નામે શેરબજારનું ટ્રેડીંગ કરતા ધવલ સુભાષભાઈ પાઠકે આજે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વંથલીના રવનીના અમીન ઈસ્માઈલ સાંધ, તેના માણસ એજાજ ઉર્ફે એજં કાસમમીયા બ્લોચ (જૂનાગઢ) અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવું જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા જેમનું ખૂન થયેલું હતું, તે રામભાઈ રાઠોડે અગાઉ ધવલ પાઠકને શેરબજારમાં રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા અને તે રકમ ધવલભાઈએ હીરાભાઈ વાંદા નામના વ્યક્તિની હાજરીમાં પરત આપી દીધી હતી, છતાં તે રકમ બળજબરીથી કઢાવવા માટે અમીન સાંધ તેના માણસ એજાજ ઉર્ફે એજુ મારફત ધવલભાઈની ઓફિસે અને રૂબરૂ મળીને ફોનમાં ધમકીઓ આપતો હતો.

10 લાખ રૂપિયા માટે અવાર નવાર ફોન કર્યા

અને કહેતો કે રામભાઈ જીવતા હતા, ત્યારે મને તારી પાસેથી 10 લાખ લેવાની વાત કરી હતી, જેથી તે રકમ તારે મને આપવાની છે. તારે જેની પાસે જવું હોય ત્યાં જજે તારે પોલીસ ફરિયાદ કરવી હોય તો પણ કરી દેજે, હાલ મર્ડરના ગુન્હામાં હું અંદર છું, મને વધુ એક કેસ થશે તો કોઈ ફેર નહીં પડે, તને રસ્તામાંથી ઉપાડી લઈશું. તેવી અવાર-નવાર ધમકીઓ આપીને એજાજને તમંચા સાથે ઘરે મોકલીને તેને અને તેના પરિવારને ભડાકે દેવાની ધમકી આપતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું કે, હાલ આરોપી અમીન ઈસ્માઈલ સાંધ ગુજસીટોક જેલમાં સુરત જેલમાં છે અને તેણે 10 લાખ રૂપિયા માટે અવાર નવાર ફોન કર્યા છે, તે અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે તે જેલમાંથી ફોન કરી રહ્યો છે કે તેના નામે અન્ય કોઈ વ્યક્તિ ફોન કરી રહ્યો હોવા અંગે તપાસ ચલાવી રહ્યા છીએ.

  • Follow us on: