ગિરનાર ઉપર અંબાજી મંદિર બાદ હવે તળેટીમાં આવેલુ પ્રખ્યાત ભવનાથ મહાદેવનું મંદિર પણ સરકાર હસ્તક લેવામાં આવ્યું છે. અહી પણ મહંત પદને લઈને વિવાદ સર્જાતા આખરે સરકારે જ્યાં સુધી નવા મહંતની નિયુક્તિ ના થાય ત્યાં સુધી વચગાળાના મંદિર ટ્રસ્ટના વહીવટ માટે પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણુક કરી છે અને આજે સાંજે પ્રાંત અધિકારીએ પૂજન કરીને આરતી કરીને મંદિર ટ્રસ્ટનો વહીવટદાર તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો.
મિલકતોનો વહીવટ અને હિસાબ-કિતાબ માંગવામાં આવ્યો
ભવનાથ મહાદેવ મંદિરના વહીવટદાર ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, આજે સાંજે તંત્ર દ્વારા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને આરતી સાથે મહાદેવના આશીર્વાદ લઈને તેઓએ મંદિર ટ્રસ્ટનો વહીવટ સંભાળ્યો છે. તે પૂર્વે આજે સવારે 11 વાગ્યાના અરસામાં તેઓ તેમની ટીમ સાથે પહોંચ્યા હતા અને મંદિરની સફાઈને લગતી તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.તેમજ મંદિરમાં હવેથી કોણ કોણ ફરજ બજાવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે.હાલ મંદિરના પુજારી અને મેનેજરને યથાવત સ્થાને રાખવામાં આવ્યા છે. પરંતુ મહંતની મુદ્દત પૂર્ણ થતા તેમની પાસેથી ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતી તમામ મિલકતોનો વહીવટ અને હિસાબ-કિતાબ માંગવામાં આવ્યો છે.
પોલીસ કાફલાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
આગામી દિવસોમાં અંબાજી મંદિરની માફક અહી ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતી પ્રોપર્ટીઓની યાદી બનાવવામાં આવશે. મંદિરોમાં રહેલી દાનપેટીઓ સીલ કરવાની કામગીરી અને મંદિરમાં રહેલા કીમતી ચીજ-વસ્તુઓની યાદી બનાવશે. જે કામગીરી પૂર્ણ થતા હજુ એકાદ મહિના જેવો સમય લાગશે.ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતી મિલકતોની વાત કરીએ તો, ભવનાથ મહાદેવનું મંદિર, સાથે પ્રેમગીરી અતિથી ભવન, મુચકુંદ ગુફા સહિતની જગ્યાઓનો કબજો હાલ સરકાર હસ્તક લેવાની પ્રકિયા ચાલી રહી છે. બીજી તરફ મહંત પદને લઈને તંત્રને અનેક અરજીઓ મળી છે, જેનાથી કોઈ વાદ-વિવાદ ના થાય તે હેતુથી આજે સવારે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.