હાલની યુવા પેઢીને વિદેશમાં જઈને વસવાનો અને ત્યાં કામ કરવાનો મોટો ચસ્કો લાગ્યો છે અને આ સપનું પુરૂ કરવા માટે લોકો લાખો રૂપિયા પણ ખર્ચ કરવા માટે તૈયાર થઈ જાય છે અને ઘણી વાર વિદેશ જવાની લાલચમાં પૈસા ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે આ પ્રકારનો જ એક કિસ્સો રાજ્યમાં ફરી એક વખત સામે આવ્યો છે. પોરબંદરના 19 યુવક-યુવતીઓને થાઈલેન્ડમાં નોકરી આપવાની લાલચ આપીને 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
બંને આરોપીઓએ 19 લોકોને થાઈલેન્ડ લઈ જઈ રઝડતા મુકી દીધા
પોરબંદરના 19 યુવક-યુવતીઓને થાઈલેન્ડમાં લઈને જઈને નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા મૂળ પોરબંદરના તુષાર સાદીયા અને પંજાબના અમિતકુમાર અરોડા નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના 19 યુવક યુવતીઓને નોકરી અપાવવાની લાલચ આપી થાઈલેન્ડ લઈ જવાયા હતા અને ત્યાં રસ્તે રઝડતા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ યુવક યુવતીઓ ફરી પોરબંદર પહોંચી ગયા હતા અને તેમને ત્યાં મદદ કરનાર અગ્રણી પણ તેમની સાથે જ પોરબંદર આવ્યા હતા અને ઘર સુધી તેઓને પહોંચાડી દીધા હતા. 24/06/2025ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ તુષાર કિશોરભાઈ સાદીયા અને અમિતકુમાર અરોડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.













