રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં એક મોટો આક્ષેપ સામે આવ્યો છે. મૃતક અમિતના ભાઈ મનિષ ખૂંટે જૂનાગઢ જિલ્લાના જેલ અધિક્ષક દીપક ગોહેલ પર ગંભીર આક્ષેપો કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં ગેરકાયદેસર રીતે સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. મનિષ ખૂંટનો સ્પષ્ટ આક્ષેપ છે કે જેલ અધિક્ષક દીપક ગોહેલ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને જેલની અંદર પણ ફોનની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને તેઓ જેલમાં રહીને પણ બહારની વ્યક્તિઓ સાથે સંપર્કમાં છે.
પુરાવા સાથે છેડછાડની આશંકા
મનિષ ખૂંટે પોતાના પત્રમાં જેલ અધિક્ષક દીપક ગોહેલ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં 'ગુજસીટોક' કાયદાના ગંભીર આરોપીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી છે. આ પ્રકારની ગેરકાયદેસર સગવડો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ સાથેની મુલાકાત કેસની ગંભીરતામાં વધારો કરે છે. આ આક્ષેપોને કારણે જેલ પ્રશાસન અને કેસની તપાસ પર સવાલો ઊભા થયા છે. મનિષ ખૂંટની મુખ્ય ચિંતા એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહીને પણ અમિત ખૂંટ આપઘાત કેસના પુરાવા સાથે છેડછાડ કરાવી શકે છે.













