રાજકોટમાં ચાલી રહેલા ખોડલધામ નોર્થ ઝોન ગરબાના કાર્યક્રમમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. VIP લાઇનમાં બેસવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે પ્રથમ હરોળમાં બેઠેલા કેટલાક લોકોને પાછળની હરોળમાં જવાનું કહેવામાં આવ્યું હતું, જે બાબતે બબાલ થઈ હતી અને હુમલાખોરે ઉશ્કેરાઈને આ કૃત્ય કર્યું હતું.
હુમલામાં ઉદ્યોગપતિના ભત્રીજા સહિત 3 ઇજાગ્રસ્ત
છરીના આ હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાં ઉદ્યોગપતિ રાજુ પરસાણાના ભત્રીજાને છરી વાગી હતી. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ અશોક ફળદુ અને હરિ સોરઠીયાને પણ ઇજા પહોંચી છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર વ્યક્તિની ઓળખ મહેશગિરી ગોસ્વામી તરીકે થઈ છે, જે એક જ્વેલર્સના ડ્રાઇવર તરીકે કામ કરે છે. ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને હુમલો કરનાર મહેશગિરીની અટકાયત કરી છે.













