બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના પરિવારને મહારાષ્ટ્રમાં અકસ્માત નડ્યો છે. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં નાસિક નજીક બે લોકોના મોત થયાં છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


નાસિક નજીક અકસ્માતમાં બે લોકોના મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે વાવ થરાદ જિલ્લાના બેવટા ગામનો પરિવાર ધંધાર્થે મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો. આ દરમિયાન ગઈકાલે વહેલી સવારે તેમની કાર નાસિક પાસે જ એક ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોના મોત થયા હતાં. જેમાં એક મહિલા અને એક પુરૂષનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

બે લોકોના મૃતદેહ બેવટા ખાતે લાવવામાં આવ્યા

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોના મૃતદેહ વતન બેવટા ખાતે લાવવામાં આવ્યા હતાં. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં ફસાયેલા મૃતદેહને જેસીબીની મદદથી બહાર કઢાયા હતાં. એક જ પરિવારના બે લોકોના મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો. મૃતકોમાં મોટા ભાઈ અને નાનાભાઈની પત્નીનું મોત થતાં ગામમાં શોક પ્રસરી ગયો હતો.


  • Follow us on: