વડોદરા જિલ્લાના અણખોલ ગામમાં એક સનસનાટીપૂર્ણ કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગામના પૂર્વ સરપંચ અને તલાટીએ મળીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) વી.એસ. પ્રજાપતિએ અણખોલ ગામના તત્કાલીન સરપંચ તરલિકા પટેલ અને તલાટી દિગ્વિજયસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


1 કરોડ 62 લાખની ઉચાપત

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ બંને આરોપીઓએ વર્ષ 2018 થી 2022 દરમિયાન ગ્રામ પંચાયત ભંડોળમાંથી કુલ 1 કરોડ 62 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. આ ઉપરાંત મુખ્યત્વે ચેક દ્વારા નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ચેકથી નાણાં એકાઉન્ટમાં જમા કરાવી ઉચાપત

તમને જણાવી દઈએ કે, પોલીસ હવે આરોપીઓના બેન્ક એકાઉન્ટ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ગામના વિકાસ માટે આવેલા કરોડો રૂપિયાની આ રીતે ઉચાપત થતા અણખોલ ગામના વિકાસકાર્યો પણ અટકી પડ્યા છે. આ ઘટનાએ પંચાયત સ્તરે ભ્રષ્ટાચાર કેટલા ઊંડા મૂળ ધરાવે છે તે દર્શાવે છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે, આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ઉચાપત કરાયેલી રકમ પરત મેળવીને તેનો ઉપયોગ ગામના વિકાસ માટે થવો જોઈએ.


  • Follow us on: