રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના થયેલા મોતનો મામલો હજું તાજો જ છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇમાં કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હોવાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે.


ડભોઇમાં કફ સિરપ પીતા બાળકોની તબિયત લથડી

વડોદરા જિલ્લાના ડભોઇમાં કફ સિરપ પીતા બાળકોની તબિયત લથડી છે જેથી આ બાળકોને આઇસીયુ માં દાખલ કરાયા છે. બાળકોની સારવાર હાલ ચાલી રહી છે.

ડૉ. અશ્વિન ધરમપુરીએ આ બાળકોને કફ સિરપ આપી

ડૉ. અશ્વિન ધરમપુરીએ આ બાળકોને કફ સિરપ આપી હોવાનું બહાર આવ્યું છે. તેમણે કઇ કંપનીની કફ સિરપ આપી છે તે સહિતના મુદ્દાની હાલ તપાસ કરાઇ રહી છે. ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.

વાલીઓ ડભોઇ પાસેના સીતાપુર વસાહતમાં રહે છે

આ બાળકોના વાલીઓ ડભોઇ પાસેના સીતાપુર વસાહતમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

 તમામ રિપોર્ટ ચેક કરીને નિવેદનો લેવાશે

બે દિવસથી બાળકો બિમાર હોવાનું જાણવા મળે છે. જિલ્લા RCHO ડૉ એમ.એમ લાખાણી એ કહ્યું કે અમે તપાસ કરવા આવ્યા છીએ અને તમામ રિપોર્ટ ચેક કરીને નિવેદનો લેવાશે અને ત્યારબાદ સરકારને અહેવાલ અપાશે. જે સિરપ અપાઇ હતું તે ક્યું હતું તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ વિભાગની પણ મદદ લેવાઇ છે. હાલમાં જે બનાવો બન્યા છે તે પ્રકારનું આ સિરપ ન હતું પણ અન્ય સિરપ હતું. અમે દવાઓનું સેમ્પલ પણ લઇશું. સરકારની સૂચના પ્રમાણે નિયમીત રુપે અમે યોગ્ય કાર્યવાહી કરીએ છીએ.


  • Follow us on: