ગુજરાતમાં ખેડૂતોને કૃષિ માટે નિયમિતપણે 8 કલાક વીજળી ન મળતી હોવાનો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકારની વીજળી વિતરણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને છેલ્લા 8 દિવસમાં પણ 8 કલાક વીજળી મળતી નથી.


પાલ આંબલિયાએ સરકારની નીતિઓની કરી ટીકા

પાલ આંબલિયાએ સરકારની નીતિઓની ટીકા કરતા જણાવ્યું હતું કે ચેકિંગ માટે ગાડી અને સ્ટાફ છે તો ખેડૂતોની ફરિયાદ નિવારણ માટે કેમ નહીં? આ ઉપરાંત તેમણે વીજળી વિતરણની ટેકનિકલ ખામીઓ પણ ઉજાગર કરી હતી. તેમણે કહ્યું હતું કે જે ફીડરમાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરની લાઇનો પાથરી દીધી છે. અને જ્યાં 100 ટ્રાન્સફોર્મરની કેપેસિટી હોય ત્યાં 1000 ટ્રાન્સફોર્મર આપી દીધા છે.

આંબલિયાનો સરકારની વીજળી આપવાની જાહેરાતો પર કટાક્ષ 

આ પ્રકારની અવ્યવસ્થાને કારણે જ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. આંબલિયાએ સરકારની વીજળી આપવાની જાહેરાતો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ તો સારું થયું કે એવી જાહેરાત ન કરી કે અમે દિવસ-રાતમાં 25 કલાક વીજળી આપીશું. આ કટાક્ષ દ્વારા તેમણે સરકારની વીજળી આપવાની વાસ્તવિકતા અને જાહેરાતો વચ્ચેના તફાવતને સ્પષ્ટ કર્યો હતો.


  • Follow us on: