દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે બે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સોનારડી ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભારે રોષની લાગણી ફેલાઈ છે. સોનારડી ગામના ખેડૂતો રામસંગ જાડેજા અને તખુભા જાડેજા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પીજીવીસીએલનો એક જીવંત વીજળીનો વાયર તૂટીને અચાનક તેમના માથે પડ્યો હતો.
સોનારડી ગામે વીજ વાયર તૂટી પડતા લાગ્યો કરંટ
જીવંત વાયરન સંપર્કમાં આવતા જ બંને ખેડૂતોને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને ખેડૂતોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ સોનારડી અને નાના સેવા ગામમાં ગમગીનીનું વાતાવરણ સર્જી દીધું છે. સ્થાનિક ગ્રામજનોએ આ ઘટના માટે પીજીવીસીએલની બેદરકારીને સીધી રીતે જવાબદાર ગણાવી છે.













