ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે યુનિવર્સિટીની કામગીરી પર મોટો સવાલ ઊભો થયો છે. સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર બેઠુંનું બેઠું છાપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે જેમા માત્ર તારીખ બદલીને જૂનું પેપર મૂક્યું હોવાની ઘટના સામે આવતા વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ગયા વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલીને બેઠું છાપવામાં આવ્યું
સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7 નું જે પેપર લેવામાં આવ્યું હતું, તે ગયા વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલીને બેઠું છાપવામાં આવ્યું હતું. એટલે કે, પેપરસેટર પ્રોફેસર દ્વારા ગયા વર્ષનું પેપર ઉપાડીને, ફક્ત તારીખ બદલીને ફરીથી છાપવાની ગંભીર ભૂલ કરવામાં આવી છે. આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI અને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અલગ અલગ સંગઠનના વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને નેતાઓ સૂત્રોચ્ચાર સાથે GTU ને બાનમાં લીધું હતું. જેમાં GTU ના કુલપતિને આવેદન આપીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.જો 15 દીવસમા GTU દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આવનારા સમયમાં GTU ને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.
તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે
આ ગંભીર છબરડો પેપરસેટર પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં, પેપરમાં પૂછાયેલા સવાલો પણ વિદ્યાર્થીઓને અગાઉ એસાઈન્મેન્ટમાં આપવામાં આવ્યા હતા. આ મામલે GTU ના કુલપતિ રાજુલ ગજ્જર સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે પેપર ને લઈને ઘટના બની છે તે ખૂબ દુખદ છે. વડી કચેરીમાં સમગ્ર રીપોર્ટ આપવામાં આવ્યો છે અને તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે . GTU પાસે જે સતા હશે તેને આધારે પેપર તૈયાર કરનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આવી પેપર ને લઈને ઘટના બની હતી જેમાં GTU દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેનો પ્રોફેસરે હાઇકોર્ટમાં પડકારી હતી.
બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ ફરિયાદ કરાઇ
GTU દ્વારા હવે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ ફરિયાદ કરાઇ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. ઉલ્લેખનીય છે કે,આ છબરડાને કારણે યુનિવર્સિટીની વિશ્વસનીયતા અને પરીક્ષા પ્રણાલીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક ધોરણે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ ગંભીર બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. લાખો રૂપિયાનો પગાર લેતા અધ્યાપક આવી ભૂલ કઈ રીતે કરી શકે અને આ પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થાય જરૂરી છે.