કચ્છના ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલા એક ભંગારના વાડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ વાડામાં પડેલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના ભંગારમાં લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સની અનેક ગાડીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં જોડાઈ હતી. આગનું સ્વરૂપ જોતા તેને કાબુમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.


ગાંધીધામ GIDCમાં ભંગારના વાડામાં આગ

કારણ કે પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને તેમાંથી નીકળતો ધુમાડો પણ ગીચ અને ઝેરી હતો. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ આગને કારણે વાડામાં પડેલો કરોડો રૂપિયાનો ભંગાર સળગીને ખાખ થઈ ગયો હતો. જેનાથી ભંગારના વેપારીને મોટું નુકસાન થયું છે. 

ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણથી આગ લાગી હોવાની શક્યતા છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના પગલાં અને ભંગારના વાડાઓમાં આગ સલામતીના નિયમોના પાલન પર સવાલો ઊભા કર્યા છે. આ પ્રકારની ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આગ પર કાબુ મેળવ્યા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવી શકાશે.


  • Follow us on: