મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત શિશુઓને સમયસર તેમજ સચોટ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતેથી 108 સેવા હેઠળ 11 નવી અત્યાધુનિક 'નિયોનેટલ એમ્બ્યુલન્સ'નો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ રહેશે
આ પ્રસંગે રાજ્ય નાણા મંત્રી કમલેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી 11 અત્યાધુનિક 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના એક પણ બાળકનું આરોગ્ય સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે સંકલ્પ કર્યો છે. નવજાત શિશુઓ માટે સંજીવની સમાન આ નવી એમ્બ્યુલન્સ ખાસ કરીને ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને એક હોસ્પિટલથી બીજી ઉચ્ચ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ રહેશે, જે રાજ્યના નવજાત શિશુ મૃત્યુદરમાં વધુ ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.













