ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારનું વહીવટી કેન્દ્ર ગણાતા સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2 માં હાલમાં મંત્રી કક્ષાની ચેમ્બરો ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે, જે મંત્રીમંડળના વિસ્તરણના સ્પષ્ટ સંકેતો આપે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને સંકુલમાં કુલ 12 ચેમ્બરો ખાલી છે. આ સ્થિતિ સૂચવે છે કે મુખ્યમંત્રી ટૂંક સમયમાં જ કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં હલચલ તેજ બની છે.


સ્વર્ણિમ સંકુલમાં ખાલી ચેમ્બરોની વિગતો

ખાલી પડેલી ચેમ્બરોની વિગતો જોઈએ તો, સ્વર્ણિમ સંકુલ-1 માં પહેલા માળે 3 મંત્રી કક્ષાની ચેમ્બર ખાલી પડી છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ-2 માં કુલ 9 ચેમ્બર ખાલી છે. ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સંકુલ-2 માં કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા છે. નિયમ પ્રમાણે, ગુજરાતમાં વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે. હાલમાં મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ઓછી છે, અને ખાલી પડેલી આ 12 ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવી શકાય તેમ છે, જેનાથી સરકારનું કદ વધારીને પ્રાદેશિક અને જાતીય સમીકરણોનું સંતુલન જાળવી શકાય.

વિસ્તરણ બાદ નવા મંત્રીઓને સ્થાન મળવાની સંભાવના

સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ચેમ્બર ખાલી હોવાથી રાજકીય પંડિતો માની રહ્યા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ નજીકના ભવિષ્યમાં નિશ્ચિત છે. ખાલી પડેલી 12 ચેમ્બરોની ક્ષમતા જોતાં, સરકારમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જેમાં અનુભવી ધારાસભ્યો અને યુવા નેતાઓને તક આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ સરકારની કામગીરીને વધુ વેગ મળશે તેમજ સંગઠન અને સરકાર વચ્ચેનું સંકલન પણ મજબૂત બનશે. ભાજપ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળતાં જ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.


  • Follow us on: