રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઉત્સાહી યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ ખાસ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના ભવિષ્ય સમાન યુવા પેઢીને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સીએમએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આજના ડિજિટલ અને આધુનિક યુગમાં યુવાનો દેશની પ્રગતિનો મુખ્ય આધાર સ્તંભ છે.


હક માટે લડવાની સાથે ફરજ પણ અગત્યની: મુખ્યમંત્રી

યુવાનોને જીવનમાં જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતા મુખ્યમંત્રીએ એક મહત્વની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોતાના હક માટે જાગૃત રહેવું અને લડવું જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી દેશ પ્રત્યેની પોતાની ફરજોનું પ્રમાણિકતાથી પાલન કરવાનું છે. હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુ છે, તેથી યુવાનોએ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીઓ ક્યારેય ભૂલવી જોઈએ નહીં.


વડાપ્રધાન મોદીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યશૈલીના વખાણ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનના અદભુત વિઝનને કારણે જ આજે દેશમાં વિકાસ, જનવિશ્વાસ અને જનકલ્યાણની નીતિઓ સાકાર થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ સત્તાને ભોગવવાનું સાધન નહીં, પરંતુ શુદ્ધ સેવાનું માધ્યમ બનાવીને સમગ્ર દેશની રાજનીતિને એક નવો અને આદર્શ માર્ગ ચીંધ્યો છે. વડાપ્રધનની રાજનીતિએ હંમેશાં રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને દેશને નવી રાહ બતાવી છે.


રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપવાનો યુવાનોને સંદેશ

વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે મુખ્યમંત્રીએ યુવાનોને કોઈપણ પરિસ્થિતિમાં 'રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન' આપવાનો મંત્ર આપ્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે, જ્યારે દેશનો યુવાન વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠીને દેશહિતમાં વિચારતો થશે, ત્યારે ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. મુખ્યમંત્રી સાથેના આ સંવાદથી ઉપસ્થિત યુવાનોમાં ભારે ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર જોવા મળ્યો હતો.


આ પણ વાંચો - Gujarat Police Bharti: LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન વાંધા અરજી


  • Follow us on: