હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતા એવા ધનતેરસના શુભ દિવસે શનિવારના સંયોગને કારણે ગાંધીનગર નજીક આવેલું પૌરાણિક ડભોડા હનુમાનજી મંદિર આસ્થાના અદ્ભુત કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું. આ બંને પવિત્ર તિથિઓના મહાસંગમને પગલે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બજરંગબલીની આરાધના માટે શનિવારનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે અને સાથે જ ધનતેરસનો તહેવાર સમૃદ્ધિનું આગમન સૂચવે છે.


શનિવારના દિવસે ધનતેરસનો મહાસંગમ 

આ પવિત્ર સંયોગને વધાવવા માટે મંદિરમાં વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રાત્રે 12 વાગ્યે આયોજિત થયેલી મહાઆરતી બની હતી. મધ્યરાત્રિના સમયે હનુમાન દાદાની આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હજારો દીવડાઓની રોશની વચ્ચે મંદિરમાં ડમરુ અને ઘંટનાદના ગુંજન સાથે જ્યારે આરતી શરૂ થઈ ત્યારે ભક્તો જાણે ભક્તિના રંગમાં રંગાયા હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો.

દાદાના ભક્તો રંગાયા ભક્તિના રંગમાં

શ્રદ્ધાળુઓએ હનુમાનજીને તેલ, સિંદૂર અને લાલ ચડાવો અર્પણ કર્યો હતો અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. મંદિરમાં થયેલી આ ભવ્ય ઉજવણી અને મહાઆરતીએ ડભોડા હનુમાનજી મંદિરની આસ્થા અને મહિમાને વધુ ઊંચાઈ આપી હતી. ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


  • Follow us on: