કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ હવે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. તેઓ આજે સાંજે માણસામાં બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરશે અને ગાંધીનગરમાં સાર્વજનિક ગરબામાં હાજરી આપશે.
સરકારની જરૂરિયાત કરતા વધુ ટેક્સ હશે તો ઓછો કરીશું
અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે GST રિફોર્મનો નિર્ણય લીધો છે. પહેલી નવરાત્રિથી જ નવા GSTનું અમલીકરણ કરાયું છે. કેન્દ્રની મોદી સરકારે GST ઘટાડવાનું ઐતિહાસિક પગલું ભર્યું છે. કેટલીક વસ્તુઓમાં GST શૂન્ય કરાયો છે. GST દેશ ચલાવવા માટે છે દેશની જનતાને લૂંટવા માટે નહીં. સરકારની જરૂરિયાત કરતા વધુ ટેક્સ હશે તો ઓછો કરીશું. દેશમાં 12 લાખ સુધીની આવક પર ટેક્સ શૂન્ય કરાયો છે. દેશમાં આઝાદી બાદ પહેલી વખત ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.













